GU/Prabhupada 0011 - આપણે કૃષ્ણને મનમાં પૂજી શકીએ છીએ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Lecture on BG 4.28 -- Bombay, April 17, 1974

ભક્તિ રસામૃત સિંધુમાં, એક કથા છે.. કથા નથી, હકીકત છે. ત્યાં વર્ણન થયેલ છે કે એક બ્રાહ્મણ હતો..તે મહાન ભક્ત હતો - તે બહુ જ વૈભવશાળી સેવા, અર્ચના, મંદિરમાં પૂજા કરવા ઈચ્છતો હતો. પણ તેની પાસે ધન ન હતું. પણ એક દિવસ તે એક ભાગવત વર્ગમાં બેઠો હતો અને તેણે સાંભળ્યું કે કૃષ્ણ ને મનથી પણ પૂજી શકાય છે. તો તેણે આ તકનો લાભ લીધો કારણકે તે લાંબા સમયથી વિચારી રહ્યો હતો કેવી રીતે કૃષ્ણની ખૂબ વૈભવશાળી રીતે પૂજા કરવી, પણ તેની પાસે કોઈ ધન હતું નહીં.

તો, તેને, જયારે તેને આ વાત ખબર પડી, કે કૃષ્ણને મનથી પણ પૂજી શકાય છે, તો ગોદાવરી નદીમાં સ્નાન કરીને, તે એક વૃક્ષ નીચે બેસી ગયો અને તેના મનમાં એક ભવ્ય સિંહાસનની રચના કરી જે રત્નથી શણગારેલ હતું,અને શ્રી વિગ્રહને સિંહાસન ઉપર રાખી તે શ્રી વિગ્રહને સ્નાન કરાવી રહ્યો હતો ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી નદીઓના પાણીથી. પછી તેણે શ્રી વિગ્રહનો શૃંગાર બહુ સુંદર રીતે કર્યો, પછી પુષ્પ અને માળા અર્પણ કર્યા.

પછી તે બહુ સરસ રીતે રસોઈ કરી રહ્યો હતો, અને તે પરમાન્ન, ખીર, બનાવી રહ્યો હતો. તો તે તેની પરીક્ષા કરવા માગતો હતો, કે શું તે ખૂબ ગરમ છે. કારણકે પરમાન્ન ઠંડા થયા પછી લેવાય છે, પરમાન્ન ગરમ હોય ત્યારે લેવાતું નથી. તો તેણે પોતાની આંગળી પરમાન્ન ઉપર રાખી અને તેની આંગળી દઝાઇ ગઈ. પછી તેનું ધ્યાન તૂટી ગયું, કારણ કે ત્યાં કઈ પણ ન હતું. ફક્ત તે તેના મનમા જ તે બધું કરી રહ્યો હતો. તો.. પણ તેણે જોયું કે તેની આંગળી દાઝેલી હતી. એટલે તે આશ્ચર્ય પામી ગયો.

આ રીતે, વૈકુંઠમાં નારાયણ, તેઓ સ્મિત કરી રહ્યા હતા. લક્ષ્મીજીએ પૂછ્યું, "કેમ તમે મલકાઈ રહ્યા છો"? "મારો એક ભક્ત મને આ રીતે પૂજી રહ્યો છે. તો મારા માણસોને મોકલો તેને તરતજ વૈકુંઠમાં લાવવા માટે."

તો ભક્તિયોગ એટલો સરસ છે કે જો તમારી પાસે શ્રી વિગ્રહની ભવ્ય પૂજા માટે કોઈ સાધન ના પણ હોય, તમે તેને મનમાં પણ કરી શકો છો. તે પણ શક્ય છે.