GU/Prabhupada 0395 - 'પરમ કોરુણા' પર તાત્પર્ય



Purport to Parama Koruna -- Los Angeles, January 16, 1969

પરમ કોરૂણા, પાહુ દુઈ જન, નિતાઈ ગૌરચંદ્ર. આ ભજન લોચન દાસ ઠાકુર દ્વારા ગાવામાં આવ્યું છે, ભગવાન ચૈતન્યના એક મહાન ભક્ત, લગભગ સમકાલીન. તેમણે એક પુસ્તક લખી હતી, ચૈતન્ય મંગલ, ભગવાનના ચૈતન્યના કાર્યો દર્શાવતી. તે એક બહુ જ પ્રખ્યાત પુસ્તક છે, ચૈતન્ય મંગલ. અને તેમણે ઘણા બધા ભજનોની રચના કરી છે. વ્યાવહારિક રીતે બધા જ વૈષ્ણવો, તેઓ દિવ્ય રીતે કવિ હોય છે. તે વૈષ્ણવની ૨૬ યોગ્યતાઓમાથી એક છે. તો તે કહે છે કે "આ બે ભગવાન," નિતાઈ ગૌરચંદ્ર, "ભગવાન નિત્યાનંદ અને ભગવાન ગૌરાંગ, અથવા ભગવાન ચૈતન્ય, તેઓ બહુ જ દયાળુ અવતારો છે." સબ અવતાર શાર શિરોમણી. "તેઓ બધા જ અવતારોના સાર છે." ભગવદ ગીતામાં અવતાર વિશે લખ્યું છે, કે જ્યારે પણ ધર્મના પાલનમાં ત્રુટિ આવે છે, અને પાપમય કાર્યો વધી જાય છે, તે સમયે ભગવાન અવતાર લે છે, અથવા આ ભૌતિક જગતમાં અવતરિત થાય છે, પુણ્યશાળીની રક્ષા માટે અને પાપીઓના વિનાશ માટે. તે અવતારનો ઉદેશ્ય છે. દરેક અવતારમાં તમે આ બે વસ્તુઓ જોશો. ભગવાન કૃષ્ણ, તેઓ એટલા સુંદર છે, એટલા દયાળુ, પણ તે રાક્ષસો માટે ખૂબ જ ભયાનક છે. રાક્ષસો તેમને એક વજ્રની જેમ જોતાં હતા, અને ગોપીઓ તેમને સૌથી સુંદર કામદેવની જેમ જોતી હતી. તો ભગવદ ગીતામાં પણ તે કહ્યું છે, યે યથા મામ પ્રપદ્યન્તે (ભ.ગી. ૪.૧૧). રાક્ષસી વૃત્તિઓની મુક્તિના પ્રમાણમાં વ્યક્તિને ભગવાનનો સાક્ષાત્કાર થાય છે.

તો આ યુગમાં... અવશ્ય, છેલ્લા અવતાર, કલકી, ફક્ત હત્યા કરશે. ઘણા, ઘણા લાંબા સમય પછી, તેઓ આવશે. પણ અહી ભગવાન ચૈતન્ય, તેમનું મિશન હત્યા કરવું નથી, ફક્ત કૃપા કરવી છે. તે ભગવાન ચૈતન્યનું વિશેષ લક્ષણ છે. કારણકે આ યુગમાં, અવશ્ય, અધર્મનું ખૂબ જ વર્ચસ્વ છે. પણ જો ભગવાન ચૈતન્યને હત્યા કરવી હોત, તો તેમની મુક્તિનો કોઈ પ્રશ્ન જ ન હતો. અવશ્ય, જે પણ વ્યક્તિની હત્યા અવતાર દ્વારા થાય છે તેને પણ મુક્તિ મળે છે. પણ અધ્યાત્મિક જગતમાં નહીં, પણ તે બ્રહ્મજ્યોતિમાં લીન થાય છે, જેવુ કે નિરાકરવાદીઓ ઈચ્છા કરે છે. બીજા શબ્દોમાં, નિરાકારવાદીઓની મુક્તિનો ધ્યેય, તે ભગવાનના શત્રુઓની મુક્તિના ધ્યેય જેવો જ છે. તે બહુ મુશ્કેલ વસ્તુ નથી. તો ભગવાન ચૈતન્ય દયાળુ છે, કારણકે તેઓ કૃષ્ણનો પ્રેમ આપીને દરેક વ્યક્તિને ગળે લગાડી રહ્યા છે. રૂપ ગોસ્વામીએ ભગવાન ચૈતન્યને બધા જ અવતારોમાં સૌથી ઉદાર અવતાર તરીકે વર્ણિત કર્યા છે કારણકે તેઓ દરેકને કૃષ્ણ આપી રહ્યા છે, કોઈ પણ યોગ્યતા વગર. તો લોચન દાસ ઠાકુર કહે છે કે પરમ કોરૂણા, પાહુ દુઈ જન, નિતાઈ ગૌરચંદ્ર. અને તેઓ બધા જ અવતારોના સાર છે. કેવળ આનંદ કંદ. અને તેમની પ્રચાર ક્રિયા પણ ખૂબ જ આનંદદાયી છે. ચૈતન્ય મહાપ્રભુ ભલામણ કરે છે "તમે હરે કૃષ્ણ જપ કરો, સરસ રીતે નૃત્ય કરો, અને જ્યારે તમે થાકો, થોડો આરામ કરો અને કૃષ્ણ પ્રસાદમ ખાઓ." તો તેમનું સૂત્ર બહુ જ આનંદદાયી છે. કેવલ આનંદ કંદ. જ્યારે તેઓ જગન્નાથ પૂરીમાં હાજર હતા, રોજ સાંજે, કીર્તન અને નૃત્ય ચાલતું. અને નૃત્ય પૂરું થયા પછી, તેઓ ભરપેટ જગન્નાથનો પ્રસાદ વિતરણ કરતાં. તો ઘણા હજારો લોકો દરેક રાત્રે એકત્રિત થતાં. તો ફક્ત દિવ્ય આનંદ, આ આંદોલન. કેવલ આનંદ કંદ.

પછી તે ભલામણ કરે છે, ભજો ભજો ભાઈ, ચૈતન્ય નિતાઈ. "મારી પ્રિય ભાઈ, ફક્ત આ બે ભગવાન, ચૈતન્ય અને નિત્યાનંદ, ની ભક્તિ કરવાનો પ્રયત્ન કરો," સુદ્રઢ વિશ્વાસ કોરી, "શ્રદ્ધા અને નિશ્ચય સાથે." વ્યક્તિને ભગવાન ચૈતન્યના શબ્દોમાં વિશ્વાસ હોવો જોઈએ. ભગવાન ચૈતન્ય કહે છે કે "જપ અથવા કીર્તન કરતાં જાઓ. ફક્ત જપ દ્વારા, વ્યક્તિ જીવનની બધી જ સિદ્ધિ પ્રાપ્ત કરશે." તો આ એક હકીકત છે. જ્યાં સુધી આપણે જપ ના કરીએ, આપણે તેનો સાક્ષાત્કાર ના કરી શકીએ, પણ જે લોકો જપ કરી રહ્યા છે, તેઓ અનુભવી રહ્યા છે કે તેઓ ખૂબ જ ઝડપથી જીવનની બધી જ ઇચ્છિત સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે. તો આપણે આ મંત્રનો જપ પૂર્ણ શ્રદ્ધા અને નિશ્ચયથી કરવો જોઈએ. પણ આ સંદર્ભમાં એક માત્ર યોગ્યતાની જરૂર છે, તે કહે છે, વિષય છાડીયા, સે રસે મજિયા, મુખે બોલો હરિ હરિ. આપણે શ્રદ્ધા અને નિશ્ચયથી જપ કરવો જોઈએ, તે જ સમયે આપણે કાળજી રાખવી જોઈએ, આપણે ઇન્દ્રિય ભોગથી બચવું જોઈએ. વિષય છાડીયા, વિષય મતલબ ઇન્દ્રિય ભોગ. અને છાડીયા મતલબ છોડી દેવું. વ્યક્તિએ ઇન્દ્રિય ભોગ છોડી દેવો જોઈએ. અવશ્ય, આ ભૌતિક જીવનમાં આપણને ઇન્દ્રિયો છે અને આપણે તેમનો ઉપયોગ કરવા માટે ટેવાયેલા છીએ. આપણે તેને રોકી ના શકીએ. પણ રોકવાનો કોઈ પ્રશ્ન જ નથી, પણ તેને નિયંત્રિત કરવાનું છે. જેમ કે આપણે ખાવું છે. વિષય મતલબ ખાવું, ઊંઘવું, મૈથુન, અને રક્ષણ. તો આ વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ નથી. પણ તેમને નિયમિત કરવાની છે જેથી તે કૃષ્ણ ભાવનામૃતના અમલમાં અનુકૂળ રહે. તો આપણે... જેમ કે ખાવું. આપણે ફક્ત સ્વાદની સંતુષ્ટિ માટે ખાવું ના જોઈએ. આપણે ફક્ત તેટલું જ ખાવું જોઈએ કે જેથી આપણે કૃષ્ણ ભાવનામૃતના પાલન માટે સ્વસ્થ રહીએ. તો ખાવાનું રોકવાનું નથી, પણ તેને અનુકૂળ રીતે નિયમિત કરવાનું છે. તેવી જ રીતે, મૈથુન. મૈથુન પણ બંધ નથી કરવાનું. પણ નિયમ છે કે તમારે લગ્ન કરવા જોઈએ, અને તમારે ફક્ત કૃષ્ણ ભાવનાભાવિત બાળકો ઉત્પન્ન કરવા માટે જ મૈથુન કરવું જોઈએ. નહિતો ના કરો. તો બધી જ વસ્તુ નિયમિત છે. રક્ષણને પણ બંધ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. અર્જુન લડાઈ કરતો હતો, રક્ષણ, કૃષ્ણની આજ્ઞા હેઠળ. તો બધી જ વસ્તુ છે. કોઈ પણ વસ્તુ બંધ કરવાની નથી. ફક્ત તેને કૃષ્ણ ભાવનામૃતનો અમલ કરી શકીએ તે રીતે નિયમિત કરવાની છે. વિષય છાડીયા. આપણે આ વિષયોનો સ્વીકાર ના કરવો જોઈએ, ભૌતિક માંગોના આ ચાર સિદ્ધાંતો, ખાવું, ઊંઘવું, મૈથુન, અને રક્ષણ, ઇન્દ્રિય તૃપ્તિ માટે. ના. રાજનેતાઓ, તેઓ ઇન્દ્રિય તૃપ્તિ માટે લડે છે. તેઓ લોકોનું હિત જોતાં નથી. તેમની રાજનૈતિક ઉન્નતિ માટે તેઓ લડે છે. તે લડાઈ પ્રતિબંધિત છે. પણ જ્યારે લડાઈ લોકોના રક્ષણ માટે જરૂરી હોય, તે લડાઈ થવી જોઈએ. તો આપણે આ ઇન્દ્રિય તૃપ્તિનો સિદ્ધાંત છોડવો પડે.

દેખો દેખો ભાઈ ત્રિભુવને નાઈ. પછી તે કહે છે, "જરા જુઓ, બીજું કોઈ આટલું દયાળુ નથી." પશુ પાખી ઝૂરે, પાષાણ વિદરે. તેમની કૃપાથી પક્ષીઓ અને પશુઓ પણ, તેમનું પણ પાલન થઈ રહ્યું છે. વાસ્તવમાં, જ્યારે ચૈતન્ય મહાપ્રભુ ઉત્તર ભારતમાં ઝારીખંડ નામના જંગલમાથી પસાર થઈ રહ્યા હતા, તેઓ ફક્ત તેમના અંગત સેવક સાથે હતા, અને તેઓ એકલા હતા, અને જ્યારે તેઓ જંગલમાથી પસાર થતાં હતા, તેમણે એક વાઘને સ્પર્શ કર્યો. તે ઊંઘતો હતો, અને વાઘે ગર્જના કરીને જવાબ આપ્યો. ચૈતન્ય મહાપ્રભુના સેવકે વિચાર્યું, "હવે આપણે ગયા." પણ વાસ્તવમાં, ચૈતન્ય મહાપ્રભુએ વાઘને પૂછ્યું, "શા માટે તું ઊંઘી રહ્યો છું? ઊભો થા. હરે કૃષ્ણ જપ કર." અને વાઘે નૃત્ય કરવાનું શરૂ કર્યું. તો વાસ્તવમાં, આ થયું હતું. જ્યારે ચૈતન્ય મહાપ્રભુએ આ હરે કૃષ્ણ આંદોલનનો પ્રચાર કર્યો, વાઘ, હરણો,... દરેક જોડાયા. તો, અવશ્ય, આપણે એટલા શક્તિશાળી નથી. પણ તે શક્ય છે, કે... ઓછામાં ઓછું, આપણે જોયું છે, સંકીર્તનમાં કુતરાઓ નાચે છે. તો તે શક્ય છે... પણ આપણે આટલું મોટું જોખમ ના લઈ શકીએ. પણ ચૈતન્ય મહાપ્રભુ વાઘને નૃત્ય કરવા માટે પ્રેરિત કરી શક્યા, આપણે ઓછામાં ઓછું મનુષ્યને નૃત્ય કરવા માટે પ્રેરિત કરી શકીએ. આ એટલું સરસ આંદોલન છે.

તો પશુ પાખી ઝૂરે, પાષાણ વિદરે. પાષાણ મતલબ પથ્થર. તો પથ્થર-હ્રદયનો માણસ પણ હરે કૃષ્ણ કીર્તન કરીને પીગળે છે. તે આપણે અનુભવ કરેલું છે, જોયું છે. પાષાણ વિદરે, શુની જાર ગુણ ગાથા. ભગવાન ચૈતન્યના દિવ્ય ગુણો અને લીલાઓને માત્ર સાંભળવાથી, કઠણ-હ્રદયના માણસો, તે પણ પીગળી જાય છે. ઘણા બધા કિસ્સાઓ છે, જગાઈ માધાઈ. ઘણા પતિત આત્માઓ, તેઓ સર્વોચ્ચ આધ્યાત્મિક સ્તર સુધી ઉન્નતિ પામ્યા. પછી લોચન દાસ ઠાકુર કહે છે કે વિષય મજિયા, રોહીલી પોરિયા. "દુર્ભાગ્યવશ હું આ શારીરિક અથવા ઇન્દ્રિયોની માંગોમાં એટલો બધુ જકડાઈ ગયો છું, કે હું ચૈતન્ય મહાપ્રભુના ચરણ કમળને ભૂલી ગયો છું." વિષય મજિયા, રોહીલી પોરિયા, સે પદે નહિલો આશ. "હું ભગવાન ચૈતન્યના ચરણ કમળથી આસક્ત થવાની ઈચ્છા ના કરી શક્યો." તો શા માટે તેવું છે? તો તે પસ્તાવો કરી રહ્યા છે કે કે આપન કરમ, ભૂંજાએ શમન, કે "હું મારા ભૂતકાળના પાપકર્મોને કારણે પીડાઈ રહ્યો છું, કે હું કૃષ્ણ ભાવનામૃત આંદોલનથી આકર્ષિત થઈ નથી શકતો. તે યમરાજ દ્વારા મને આપવામાં આવેલી સજા છે." વાસ્તવમાં, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન, સંકીર્તન આંદોલન, તે એટલું સરસ અને આકર્ષક છે, દરેક સરળ, નિષ્કપટ વ્યક્તિ આકર્ષિત થશે. પણ જો વ્યક્તિ આકર્ષિત નથી થતો, તે સમજવું જોઈએ કે તે યમરાજના નિયમો દ્વારા દંડિત છે. કોઈ વાંધો નહીં, જો આપણે આ જપના સિદ્ધાંત પર વળગી રહીએ, તો યમરાજ પણ, તે પણ આપણને દંડિત નહીં કરી શકે. તે બ્રહ્મસંહિતાનું કથન છે. બ્રહ્મસંહિતા કહે છે, જે વ્યક્તિ આ ભક્તિમય સેવા ગ્રહણ કરે છે, તેના ભૂતકાળના પાપ કર્મોના પરિણામ તરત જ નાબૂદ થઈ જાય છે. તો આપણે દરેક આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં ભાગ લેવો જોઈએ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે - મંત્રનો જપ કરીને.